સુરતમાં 8 દિવસમાં 8 હત્યાના બનાવ
ઉપરાછાપરી હત્યાની ઘટનાઓથી લોકો ભયભીત
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરત શહેરમાં પાછલા કેટલાક સમયથી હત્યા સહિતના ગંભીર બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સમાજ માટે પણ આ કિસ્સા લાલબત્તી સમાન છે. આજે નાની નાની વાતોમાં પણ હત્યાની ઘટનાઓ ઉપર ધ્યાન આપવામાં નહિ આવે તો આગળના દિવસો હજુ ડરામણા બની શકે છે. જાણે કાયદાનો ડર ન હોય તેમ આરોપીઓ બેખૌફ ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી.
- 8 દિવસ અગાઉ સિંગણપોરના ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં તેનો કરુણ અંજામ આવ્યો હતો પતિએ પહેલા પત્નીની ધારિયા વડે હત્યા કરી, બાદમાં પોતે પંખે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
- 6 દિવસ અગાઉ સુરતથી વલથાણ તરફ આવતા નહેરવાળા રસ્તા પર ખેતરમાં 19 વર્ષીય અમરોલી સુરતનાં દેવીપુજક યુવકની તીક્ષ્ણ ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ચાર શકમંદો સામે ગુનો નોંધતા ચકચાર મચી ગઇ હતી.
- 6 દિવસ અગાઉ મોડીસાંજે કાપોદ્રામાં માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. મહિના પૂર્વે માથાભારે યુવકે હોમગાર્ડ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેની અદાવતમાં હોમગાર્ડના મિત્રે તેની હત્યા કરી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો . હત્યારા હર્ષિત કનાડીયાને પણ હાથમાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો .
- 5 દિવસ અગાઉ સુરતના ખટોદરા વિસ્તારમાં એક પુત્રએ પોતાની જન્મદાતી માતાની નિર્દયતાથી હત્યા કરી હતી . જમવા બાબતે થયેલ વિવાદ અને ઝઘડામાં પુત્રએ 85 વર્ષની માતાના માથા પર રસોઈના દસ્તાથી હુમલો કર્યો, જેના કારણે માતાનું મોત થયું હતું .
- 4 દિવસ અગાઉ લાલગેટ વિસ્તારમાં આવેલ ઘાસતીપુરા નજીક પાણીની પાઇપલાઇન જેવી નાની બાબતે શરૂ થયેલું વિવાદ જીવલેણ બનાવમાં પરિવર્તિત થયું હતું. જે દરમિયાન એક યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી . લાલગેટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી .
- 3 દિવસ અગાઉ સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં કિન્નર સંજના કંવરની હત્યાનો કેસ સલાબતપુરા પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો . પોલીસ દ્વારા આ કેસમાં 29 વર્ષીય આરોપી કિશનકુમાર પ્રવીણભાઈ જેઠવાને ઝડપી લેવામાં આવ્યો હતો .
- બે દિવસ અગાઉ ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી . પોતાના સંતાન ન હોવાથી દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી અને ઘરમાંથી 90 હજાર રૂપિયા ચોરી કરી નાસી ગયો હતો. આરોપીએ ચોરીના પૈસાથી ફ્લાઇટ મારફતે કોલકાતા જવાનું આયોજન કર્યું, ફ્લાઇટથી કોલકત્તા પહોંચી પણ ગયો અને આખરે પોલીસે તેને CCTVના આધારે ઝડપી પાડ્યો હતો.
- 1 દિવસ અગાઉ સુરતના ભરીમાતા રોડ પર પરિવાર સાથે રહેતા એક પિતાએ તેની જ પુત્રીની કૂકરના ઘા મારી હત્યા નીપજાવી દેતાં ચકચાર મચી હતી . પુત્રી ઘરકામ કરવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોઈ, ઉશ્કેરાયેલા પિતાએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
BY KALPESH MAKAWANA ON NOVEMBER 30, 2024