– રોજે ખવાતા પાનનો રસિલો ઇતિહાસ
મઘમઘતું પાન તારું ઝણકાવે અંતર મારું, ખઇકે પાન બનારસવાલા, પાન ખાયે સૈંયા હમારો, સાંવલી સુરતીયા હોંઠ લાલ લાલ…વગેરે જેવા ગીતોથી પાનનો રસિલો રસયુક્ત ઇતિહાસ આપણને જાણવા મળે છે. પાનનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પુજા-પાઠ અને ઔષધીથી લઈને ખાણી-પીણીમાં મુખવાસ સુધી પાનની સફર સદીઓ જૂની છે. પાનના તાર રામાયણ, મહાભારત અને છેક ભગવાન શિવ સાથે જોડાયેલાં છે. ભારતમાં અનેક પાનના શોખીનો છે. સોલંકી વંશ, મુગલકાળ હોય કે મરાઠા રાજ હોય ત્યારે પણ પાન હંમેશા વિશેષ સ્થાન પર રહ્યું છે. કેટલાક લોકોને ખાધા બાદ પાનની આદત હોય છે. તો ઘણા લોકો માત્ર સ્વાદ માટે પાન ખાય છે. તો કે પાનનો પૂજામાં પણ ઉપયોગ થાય છે. ઇતિહાસ કહે છે કે દ્વાપર યુગથી આપણા દેશમાં ભોજન પછી તાંબુલ પત્ર ખાવાની પ્રથા શરૂ થઈ હતી જે આજે પણ પ્રચલિત છે.
– ભગવાન શિવ, રામાયણ, મહાભારતથી પાનનું અસ્તિત્વ
ભગવાન શિવ અને માતા પાર્વતીએ પાનનું પહેલું બીજ રોપ્યું હોવાની માન્યતાઓ છે. હિમાલયના એક પહાડ પર તેમણે પાનનું બીજ વાવ્યું હતું. ત્યારથી પાનની શરૂઆત થઈ હતી. અને પાનના પાદડાને પવિત્ર માવવામાં આવતું હતું. તેનો ઉપયોગ પૂજા અને અન્ય શુભ કાર્યોમાં થતી હતો. રામાયણ – મહાભારતમાં પાનનો ઉલ્લેખ જોવા મળે છે. અશોક વાટિકામાં ભગવાન રામનો સંદેશ હનુમાનજી જ્યારે માતા સીતાને આપે છે. ત્યારે અન્ય કાંઈ ન મળતા પાંદળાનો હાર બનાવી માતા સિતા હનુમાનને ભેટમાં આપે છે. જયારે મહાભારતમાં યુદ્ધ જીત્યા બાદ યજ્ઞ શરૂ કરવાનો હતો જેના માટે પાનની જરૂર હતી પણ ક્યાંય પણ પાન ન મળતા અર્જુન નાગલોકની રાણીઓ પાસેથી માગીને પાન લાવ્યા હતા. જેથી તેને નાગરવેલ કહેવાય છે.
– મહિલાઓ હોઠને લાલ કરવા માટે પાનનો ઉપયોગ કરતી
પાન ખાવાથી પુરુષોના હોઠ લાલ રહેતા હતા. ત્યારબાદ મહિલાઓએ પણ તેનો ઉપયોગ શરુ કર્યો હતો. સમય વીતતા પાનમાં એલાયચી,ચુનો સહિતની વસ્તુઓ નાખવાની શરૂઆત થઇ હતી. આજે બનારસી, સાદુ,મીઠું, ચોકલેટ, ફાયર પાન, મીઠી, કલકતી સહિતના અસંખ્ય પ્રકાર પાનના જોવા મળે છે. દરેક સ્થળે મળતા પાનના સ્વાગ અલગ અલગ હોય છે. પાનના કપૂરી, બંગલા, મઘઈ, માંગરોળી, મદ્રાસી. એવલી, મલબારી, ચોરવાડી, બનારસી બંગલા, કલકત્તી, અંબાડી, કરિયેલ વગેરે પાનના પ્રકાર છે. હાલમાં વિવિધ પ્રકારના પાન વેચતી દુકાનો શરૂ થઇ છે. પાનની દુકાનો પોતાની મોનોપોલી દ્વારા પોતાના વિશ્વાસુ ગ્રાહકોને બાંધી રાખ્યા છે. રાત્રીના લટાર મારવા નિકળતા શહેરીજનો માટે ચાંદીના વરખ સાથેનું શિંગોડા પાન જાણે કે આદતનો ભાગ બની ગયુ છે. આજે બાળકો ચોકલેટ પાન, રસમલાઇ પાન, મિક્સ ફ્રુટનું પાન ખાય છે. વર્તમાન સમયમાં પાનની 100થી વેરાયટી મળે છે. પ્રાચીન સમયમાં પાન તૈયાર કરવામાં નાગરવેલનું પાન, સોપારી, ચૂનો, તમાકુ, કાથો, કસ્તૂરી, સોના અને ચાંદીનો વરખ, લીલી વરિયાળી , બદામ, મરી, કેસર, જાયફળ જાવંત્રી, એલચી, લવિંગ સૂંઠ, આદુ, ચંદન, સૂકું અને લીલું નાળિયેર, તજ, અને કપૂર, ખારેક જેવી ૨૨ પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ થતો હતો. આજનાં સમયમાં ઉપરની સામગ્રીઓ સાથે ગુલકંદ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, ખજૂર, મિંટ, ધાણાદાળ, ચોકલેટ સાથે અનેક અન્ય સામગ્રીઓઑ પણ ઉપયોગ થાય છે.
– આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય
યર્જુવેદમાં કહ્યું છે કે પિપ્પલ અર્થાત પીપળ પાન, અશોકનાં (આસોપાલવ) પાન, આમ્રનાં (આંબો) પાન, શમીનાં પાન અને નાગરવેલનાં પાન આ પાંચ પ્રકારના પાન ખૂબ પવિત્ર ગણાય છે કારણ કે તેમાં વિવિધ દેવ અને દેવીઓનો વાસ રહેલો હોવાથી સામાજીક, આર્થિક કે ધાર્મિક કોઈપણ કાર્યની પૂર્તિ આ પાંચમાંથી કોઈપણ પ્રકારના એક પાન વડે થઈ જાય છે. નાગરવેલનાં પાનનો વેલો દ્રાક્ષનાં વેલાની જેમ ભૂમિ પર પથરાય છે અથવા માંડવડી ઉપર બંધાય છે. તાંબુલ પાનનો ગુણધર્મ તીખો, કડવો, શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર હોવાં છતાં તે મુખને સુવાસિત કરીને ભોજનને પચાવવામાં પાચનશક્તિ પ્રદાન કરે છે. આર્યુવેદમાં પાનનો ઉપયોગ એક ઐષધિના રૂપમાં થાય છે. ભગવાન ધનવંતરી આર્યુવેદિક તજજ્ઞો સાથે મળી પાનનો સૌથી પહેલા ઉંદર પર ઉપયોગ કર્યો હતો.જેમાં સુરક્ષીત સાબિત થતા પાનનો માણસોએ ઉપયોગ શરૂ કર્યો હતો. પાન ખાવાથી પાચનશક્તિ મજબુત બને છે. એટલું જ નહીં પણ પાન ખાવાથી અવાજ સારો રહે છે, મોઢામાંથી વાસ નથી આવતી અને જીભ પણ સારી રહે છે.એટલે લાંબા સમય સુધી પાન આર્યવેદમાં દવા તરીકે ઉપયોગમાં લેવાતું હતું.
– સ્વાદની સાથે સ્વાસ્થય પણ પ્રદાન કરતું મીઠુ પાન
નાગરવેલના પાનનો સૌથી વધુ ઉપયોગ આયુર્વેદમાં થાય છે. આયુર્વેદમાં કહ્યું છે કે રોજ એક પાન ખાવાથી પાચનશક્તિમાં વધારો થાય છે, પરંતુ પાનનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકશાન પહુંચાડે છે. વધુ પડતાં પાનનાં ઉપયોગથી સ્વાદપિંડ, મો, ગળાનું કેન્સર થઈ શકે છે. જે વ્યક્તિઓને વાયુ અને પિત્ત પ્રકૃતિ હોય છે તેમને માટે તાંબૂલ અર્થાત નાગરવેલના પાન આર્શીર્વાદરૂપ છે કારણ કે આ પાન વાત, વાયુ, પિત્ત, કફ, કૃમિ, મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને કબજિયાતને દૂર કરે છે. નાગરવેલનાં પાનમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે.
– પાન રાજા-મહારાજાઓના વૈભવી ઠાઠનું પ્રતીક
ભારતમાં જ્યારે મુગલોનું રાજ હતું ત્યારે પાનને નવો અવતાર મળ્યો હતો. રજવાડાઓના દરબારમાં સૌ કોઈની પસંદગી માત્ર પાન જ હતું. ત્યારે મુગલો માત્ર પોતાના પસંદગીના લોકો અને મિત્રોને જ પાન આપતા હતા.પરંતુ સમયની સાથે પાનની માગ વધતી ગઈ.એટલે જ મોહાબના લોકો પાસેથી કરના બદલે મુગલો પાન લેતા હતા.જે પાનના પાંદડાનું મહત્વ દર્શાવે છે. પાન ખાવાથી પુરુષોના હોઠ લાલ રહેતા નૂરજહાંએ પાનને હોઠ પર લગાવાનું શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ પાન ખાવાના શોખીન હતા અને તેઓ રોજ લહેરીપુરા પાસે આવેલી પાનની શોપમાં પાન લેવા માટે પોતાની રોલ્સ રોયસ મોકલાવતા હતા. રોલ્સ રોયસમાં આવનાર વ્યક્તિ ચાંદીની પેટી લઇને આવતા જેમાં મહારાજા માટે તાજુ પાન તૈયાર થઇને જતુ હતુ.
– પાન લોકોની જરૂરિયાતો પુરી કરતા આવ્યા
નાગવલ્લીનાં પાનને સિંહાસન બનાવીને તેના ઉપર શ્રી ગણેશજી અથવા સોપારીને ગણેશજીનાં સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે, બંગાળી વિવાહમાં કન્યા ફેરા ફર્યા વગર પોતાનું મુખ પોતાના વરને બતાવતી નથી આથી વરની આજુબાજુ ચોરીફેરા ફરતી વખતે કન્યા પોતાનો ચહેરો પાનથી ઢાંકી રાખે છે, અને ફેરા ફરી લીધા પછી ચહેરા સામેથી પાન ખસેડીને તે પતિને પોતાના મુખનાં દર્શન કરાવે છે. મધ્ય પ્રદેશમાં વિવાહ વખતે કન્યાની માતા ઘર આંગણે આવતી જાનને નાગવલ્લીનાં પર્ણો વડે પોંખે છે અને દુલ્હારાજાની નજર ઉતારે છે, બિહારનાં આદીવાસીઓ ભાઈઓ રક્ષાબંધનને દિવસે પોતાની બહેનને ઘેર રાખડી બંધાવવા જાય ત્યારે બહેનને શુભ શુકન રૂપે નાગરવેલનાં પાન આપે છે, જ્યારે અમુક મરાઠીઑમાં વિવાહને દિવસે વધૂઓનાં હસ્તમાં નાગરવેલનાં પાન અને અક્ષત અર્થાત ચોખા આપી કહેવામાં આવે છે કે તારો સંસાર સદાયે લીલોછમ્મ રહે અને તારું સૌભાગ્ય અક્ષત અને અખંડ રહે. મૈસુરમાં તો ખાસ શુભ દિવસે લોકો એકબીજાને પાનની ભેટ આપે છે. કલકત્તામાં દુર્ગા પૂજા હોય કે ગુજરાતમાં નવરાત્રી નું ઘટ સ્થાપન પાનનો ઉપયોગ જરુર જોવા મળે છે.
– બદલાતા સમય સાથે પાન એક મોંઘી ફૂડ આઈટમ બની
એક સમય હતો જેમાં કસ્તૂરી, સોના-ચાંદીનાં વરખનો ઉપયોગ કેવળ ઉચ્ચવર્ગ, અને ધનવાન લોકો કરી શકતાં હતાં પરંતુ સામાન્ય માણસો દ્વારા પત્ર ખરીદવા મુશ્કેલ હતાં તેથી તેઓએ કસ્તૂરી અને વરખનું સ્થાન લવિંગ અને એલચીને આપ્યું હતું, કારણ કે લવિંગ અને એલચીનું મૂલ્ય પણ ઓછું અને ખાવામાં પણ તે સુપાથ્ય છે. આજે લગ્ન પ્રસંગમાં પાનનું અલગથી કાઉન્ટર હોય છે જેના માટે લગભગ એક સ્વીટ આઇટમ જેટલો જ ખર્ચ કરવો પડે છે. અહીં અલગ અલગ જાતના પાન મહેમાનોને પીરસવામાં આવે છે. આજે 150 જેટલા પ્રકારના પાન મળે છે. જેની કિંમત 15 રૂપિયાથી માંડી 5000થી વધુ હોય છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર કેન્સર રીસર્ચ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ ના જણાવ્યા મુજબ પાન સાથે તમાકુ અને સોપારી ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે. પરંતુ એકલું પાન જરા પણ નુકસાન કરતું નથી અને ઉલ્ટાનું આરોગ્યને વધારે ફાયદો કરે છે. આમ હિન્દુ ધર્મમાં જન્મ-મૃત્યુ, વિવાહ, વ્રત પૂજન વગેરેમાં અનેક કાર્યમાં ઉપયોગી એવા નાગવલ્લી, નાગરવેલનાં પાન સાથે આપણો અનોખો સંબંધ બંધાયેલો છે, ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે પાન. પાન ખાવાનો ઉલ્લેખ ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળથી જોવા મળે છે. આજે ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, તાઇવાન, બર્મા, બાંગલાદેશ, મલેશિયા, વિયેટનામ વગેરે દેશોમાં પાનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
BU KALPESH MAKWANA ON 7TH FEBRUARY, 25
Be First to Comment