– નદીની વહન ક્ષમતા વધારવા પ્રથમ તબક્કે 65.52 લાખનો ખર્ચ
વડોદરા શહેરમાં આવેલ વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીમાં 24 કિમી લાંબી નદીમાં 375 મશીનો ઉતારી 10 ફૂટથી વધારે ખોદકામ કરાશે . કામગીરી શરુ થયેથી 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને 71 કરોડ ચૂકવશે. વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ1200 કરોડની જાહેરાત થઇ હતી. સરકારની કમિટીની બેઠક બાદ 3200 કરોડનો પ્રોજેક્ટ રિપોર્ટ સરકારમાં સબમીટ કરાયો છે. જેના પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાનું કામ હાથ ધરાશે. આ નદીની અંદર કામગીરી કરવા વાઇલ્ડ લાઇફ બોર્ડ અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની એનઓસી મેળવ્યા બાદ કામગીરી થશે. તાજેતરમાં આ અંતર્ગત કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીના 75 મીટરના પટ ઉપર મોકડ્રીલ પણ યોજાઈ હતી. જેથી પ્રેક્ટીકલી કામગીરી શરૂ થાય ત્યારે શું તકલીફો પડશે તેને ધ્યાનમાં રાખીને વધુ તૈયારીની જરૂર છે કે કેમ તેનો એક અંદાજ આ મોક ડ્રીલ થી મેળવ્યો હતો. કમિટીએ નદીમાંથી સીલ્ટ બહાર કાઢી વહન ક્ષમતા વધારવા જણાવ્યું છે.
– 24 કિમી સુધી 375 મશીનોથી 10 ફૂટનું ખોદકામ કરાશે
આ કામગીરીથી નદીમાં પાણીની વહન ક્ષમતા વધશે અને 30 થી 40% પૂર ઓછું થશે. સાથે જે માટી ખોદવામાં આવશે તે ચાર કિલોમીટર દૂર વડસર ગૌચરની જમીન પર ખાલી કરાશે. નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે. જેમાં વિશ્વામિત્રી નદીના પટ ને પહોળો કરવો, નદીમાં ઝાડી ઝાખરા કાપવા, ખોદકામ કરી કાંપ અને માટી બહાર કાઢવી, નદી રીસેક્શનિંગ કરવી સહિતનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, કામગીરી એક કાંઠા ઉપર થશે. જેથી મગર સામા કાંઠા પર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને અન્યત્ર ખસેડવાની વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. હાલ બ્રીડિંગ સીઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે ત્યાં કામગીરી થશે નહીં. કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ થશે. નદીના જે વિસ્તારમાં મગરોની વસ્તી છે ત્યાં પણ હાલ કામગીરી ઉપર બ્રેક મૂકી છે. આ માટે અંદાજ કરતા અઢી ટકા વધુ મુજબ 62.52 કરોડના ચાર અલગ અલગ ઇજારદારના ભાવ પત્રક મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ થયા હતા. હાલમાં વિશ્વામિત્રી નદીમાં 450થી વધુ મગરોનો વસવાટનો અંદાજ છે. વિશ્વામિત્રી સિવાય ઢાઢર નદી, દેવ નદી, મહી નદી, આજવા તળાવ અને અન્ય 50 તળાવોમાં મગરની ગણતરી કરવામાં આવી છે. આખા વડોદરા જિલ્લામાં મગરની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે.
– આજવા-પ્રતાપપુરા સરોવર ઊંડું કરવાની કામગીરી શરૂ
તો બીજીતરફ વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુન: નિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા ની કામગીરી લોક ભાગીદારીની યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે સ્વેચ્છિક સંસ્થાઓ સ્વખર્ચે ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે કામગીરી આરંભી છે. આજવા સરોવરની ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર ક્લિયરની પોકલેન, જેસીબી અને ડમ્પર જેવી મશીનરીથી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે. તેજ પ્રકારે પ્રતાપપુરા સરોવરની ઊંડું કરવા માટે 11 એજન્સીએ લોક ભાગીદારીની યોજનામાં લાભ લીધો છે. આ એજન્સીઓની અંદાજે 250થી વધુ પોકલેન, જેસીબી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે કામે લાગી છે.
– વડોદરામાં પૂર હવે ભૂતકાળ બનશે તેવો કોર્પોરેશનનો દાવો
વડોદરા શહેરમાં ગતવર્ષે ચોમાસા દરમિયાન ત્રણ વખત પૂર આવ્યું હતું. જેથી કોર્પોરેશનનું તંત્ર પૂર નિવારણ કામગીરીમાં લાગ્યું છે. વડોદરાના મેયર દ્વારા જણાવાયું છે કે વડોદરામાં હવે ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિ ભૂતકાળની પરિસ્થિતિ બની જાય તે દિશામાં યુદ્ધના ધોરણે 130 દિવસમાં કામગીરી કરવા આયોજન હાથ ધરાયું છે. સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદીના સંગમ સ્થળે દેણા ખાતે કોર્પોરેશનની જગ્યામાં બફર લેક બનાવવાનું આયોજન હાથ ધરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બીજા 10 જેટલા બફર લેક પણ બનાવવામાં આવનાર છે.
– 37.84 કરોડના ખર્ચે 66 કિમી લાંબી 22 કાંસની સફાઈ કરશે
શહેરમાં આવેલી 66 કિલોમીટર લાંબી 22 હયાત કુદરતી કાસને આઈડેન્ટીફાઈ કરી તેના રિસેક્સન અને ડીસીલ્ટીંગની કામગીરી કરવામાં આવશે. કાંસમા જમા થયેલા કચરાનો નિકાલ કરી કાંસની વહનક્ષમતા વધારવા માટે પાકા કાંસોને તોડી સફાઈ કરાશે. તદુપરાંત વરસાદી કાંસના સ્લેબ તોડી ત્યાં સફાઈ કરવામાં આવશે. આ કાંસ પર ચેકર્ડ પ્લેટ અથવા પ્રિકાસ્ટ સ્લેબ કરાશે. જેનાથી વારંવાર તેને ખોલી સાફ કરી શકાય. આગામી 100 દિવસમાં આ કામગીરી કરવામાં આવશે. દર વર્ષે કાંસની સફાઇ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ માત્ર ચેમ્બરની સફાઇ થાય છે.
BY KALPESH MAKWANA ON 8TH MARCH, 2025
Be First to Comment