fbpx Press "Enter" to skip to content

‘કેસરી’યો રંગ તને લાગ્યો રે બોલિવૂડ!

૧૦,૦૦૦ અફઘાનીઓની સેના સામે ફક્ત ૨૧ શીખ! સારાગઢી યુદ્ધનો ભવ્ય ઇતિહાસ આપણા પાઠ્યપુસ્તકોમાં કેમ નથી સમાવાયો એ બહુ અગત્યનો મુદ્દો છે! માયકાંગલા અંગ્રેજો, ઘુષણખોર મુઘલો ક્યારે ભારત આવ્યા અને ક્યારે ગયા એનાથી આપણને શું મતલબ? ‘સા વિદ્યા યા વિમુક્તયે’નો ખરો અર્થ સાકાર થાય એ માટે પ્રાથમિક શાળાનાં અભ્યાસક્રમોમાં શૌર્યગાથા અને ભારતની વીરતાનું ચિત્રણ થવું જરૂરી છે. ‘કેસરી’નાં ઢોલનગારા વાગવાનાં શરૂ થયા એ વખતે થોડોક સમય હોવાથી મોહિત રૈના અભિનીત ૬૫ એપિસોડની યુટ્યુબ સીરિઝ ‘૨૧ સરફરોશ’ જોઇ. સારાગઢીનાં યુદ્ધ પર આખેઆખી વેબસીરિઝ બનાવવામાં આવી છે. ફિલ્મ પાસેથી ખાસ્સી એવી અપેક્ષાઓ રાખી હતી! એમાંય અક્ષયકુમાર હોય એટલે સ્વાભાવિક રીતે ઉત્સાહ વધી જાય. પણ…!!

૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૭માં સારાગઢી કિલ્લા પર ૨૧ શીખ સૈનિકો ૧૦,૦૦૦ જેટલા અફઘાનીનો સામી છાતીએ સામનો કરે છે. વાર્તા આટલી જ છે, પરંતુ એને સ્ક્રીન સુધી પહોંચાડવા માટે સર્જનાત્મક છૂટછાટ તો લેવી પડે ને! એટલે ‘કેસરી’ને અઢી કલાક જેટલી ખેંચવામાં આવી. પાત્રોનું પાત્રાલેખન આપવામાં અને થોડીઘણી આડીઅવળી વાતોમાં ઇન્ટરવલ પહેલાની એક કલાક વેડફાઈ ગઈ. હવલદાર ઇશર સિંઘ (અક્ષયકુમાર)ને સારાગઢી કિલ્લાનો ચાર્જ સંભાળવા માટે મોકલી આપવામાં આવે છે. ૨૧ શીખ અને એક રસોઇયા સહિત કુલ ૨૨ શીખ એ કિલ્લામાં મૌજૂદ છે. ૧૨મી સપ્ટેમબર, ૧૮૯૭નાં રોજ તેમનાં પર અફઘાની સેના હુમલો કરે છે. ૨૧ શીખની સામે બે રસ્તાઓ છે : કાં તો પીઠ બતાવીને ભાગી છૂટો અથવા તો અસલી હિંદુસ્તાનીની માફક સામી છાતીએ લડત આપીને શહીદી વહોરી લો! તમામ સૈનિકો બહાદુરીનો માર્ગ પસંદ કરે છે.

અક્ષયકુમાર સિવાય અલપ-ઝલપ કિરદારોમાં પરિણીતી ચોપરા (ઇશર સિંઘની પત્ની જીવણી કૌર), લેફ્ટનન્ટ લૌરેન્સ (એડવર્ડ સોન્નેનબ્લિક), મીર સરવર (ખાન મસૂદ), ગુલાબ સિંઘ (વિક્રમ કોચર) વગેરેની હાજરીએ ફિલ્મને જીવંત બનાવી છે. સ્ક્રીનપ્લે રાઇટર ગીરિશ કોહલી અને રાઇટર-ડિરેક્ટર અનુરાગ સિંહ સ્ક્રીનપ્લેમાં મામલામાં ગજબની ગફલત ખાઈ ગયા છે. ફિલ્મની છેલ્લી પોણી કલાક એવી છે, જે દર્શકોને સીટ સાથે જકડી રાખે! પરંતુ બાકીનાં સમયમાં તો લગભગ જાણીજોઈને વણજોઇતાં ડાયલોગ અને દ્રશ્યો ઉમેરવામાં આવ્યા હોય એવું લાગ્યું. મ્યુઝિકમાં ખાસ દમ નથી, પરંતુ રોમેરોમ જુસ્સો જગાડવા માટે પૂરતું છે. અભિનય સારો પણ મોટાભાગનાં કિરદારો ફિલ્મની અધવચ્ચે જ પંજાબી ભાષાને ટાટા-બાયબાય કહી ચૂક્યા છે. સારાગઢીનું ઐતિહાસિક સૌંદર્ય અને ખૂનખરાબાનાં દ્રશ્યોને કેમેરાનાં કચકડે બખૂબી ઝીલવા બદલ સિનેમેટોગ્રાફર અંશુલ ચૌબેને શાબાશી! ઓવરઓલ, કંટાળાજનક પરિબળોને બાદ કરતાં ‘કેસરી’ સાવ કંઈ નાંખી દેવા જેવી તો નથી જ! ઇટ્સ વન ટાઇમ વોચ.

સાંજ સ્ટાર : (૧) કેસરી : ત્રણ ચોકલેટ

કેમ જોવી? : ભવ્ય ભારતનાં ખરા ઇતિહાસથી રૂબરૂ થવાની ઇચ્છા હોય તો! (એમાં પણ અક્ષયકુમાર સાથે એની ઝાંખી જોવા મળતી હોય તો ખોટું શું છે?)

કેમ ન જોવી? : યુદ્ધનાં દ્રશ્યોને બાદ કરતાં ફિલ્મમાં જોઇએ એટલું ઉંડાણ નથી!

– Parakh Bhatt

error: Content is protected !!