Press "Enter" to skip to content

પ્રાકૃતિક કૃષિ: ખેડૂત મગનભાઈએ કેવી રીતે વધારી પેદાવાર અને કમાણી

પ્રાકૃતિક કૃષિ એટલે ઓછા ખર્ચે વધુ ઉપજ

પહેલા 20 વીઘામાં 35 ટન જામફળનું પણ ઉત્પાદન થતું ન હતું અને હવે 60 ટનનો પાક લેતા ખેડૂત

30 લાખથી વધુની વાર્ષિક કમાણી કરતા મગનભાઈના નામથી વેચાય છે જામફળ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત આગળ વધી રહ્યો છે,વડોદરાના સંખ્યાબંધ ખેડૂતોએ પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે,તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્ય પ્રાકૃતિક ખેતી વિશે જાણવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતીપુત્રો તત્પર છે,જેને લઇ ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડમાં આગળ વધી રહ્યું છે,ત્યારે વડોદરા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવીને પોતાની આવક બમણી કરી રહ્યા છે જે અન્ય ખેડૂતો માટે મિશાલ રૂપ છે.વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનાં ભરથાણા ગામના ખેડૂત મગનભાઈ મુળજીભાઈ પટેલ છેલ્લા 14 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ પોતાની ૩૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી જામફળ,નારિયેળ, આંબા, હળદર, લીંબુ, મોસંબી, કેળ, ચીકુ, સરગવો સહિત અનેક શાકભાજી અને ફળોનો મબલખ પાક મેળવી રહ્યા છે.મગનભાઈ પટેલ પોતે વિકસાવેલ ગોબર ગેસ પ્લાન્ટ થકી ખુબજ ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેમના સફળ પ્રયોગ વિશે જણાવતા તેઓ કહે છે કે, તેમને બધા જ પ્રયોગો કર્યા આમ છતાં 20 વીઘા જમીનમાં 35 ટનથી વધુ જામફળનો પાક થતો ન હતો. આ સાથે ગોબરને પ્લાન્ટના ડ્રિપમાં કચરો ફસાય જતા છાણવામાં તકલીફ પડતી હતી. આ તમામ સમસ્યાના સમાધાન રૂપે મગન ભાઈએ ફિલીંગથી લઈને ખેતરમાં માફક આવે તેમ ગોબર બનાવવાની એક આખી પ્રોસેસ ડેવલપ કરી છે. ખેતરમાં સમયસર પ્રોસેસ કરેલ સ્લરીનું પોષણ આપતાં તેના સફળ પરિણામમાં તેમની 20 વીઘા જમીનમાં 60 ટનથી કરતા વધુ જામફળ મળતા થયા છે.

રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગ હાનિકારક

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી તેમની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. આ સાથે જમીન એટલી પોષક બની છે કે ત્યાંની જમીનને ખોદતાં દેશી અળસિયા મળ્યા છે. તેમના ખેતરમાં ઉગતાં શાકભાજીઓ અને ફળો ખાસ કરીને કેરી અને જામફળમાં કુદરતી મીઠાશમાં વધારો અનુભવાયો છે.રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગના કારણે ખેતઉપયોગી અનેક જીવો નાશ થયા છે. ત્યારે કેરી માટે જરૂરી એવી પરાગનયનની પ્રક્રિયામાં મધમાખીઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોતાના ખેતરમાં આંબાઓ પર મધમાખીઓને પોષક વાતાવરણ પૂરું પાડવા માટે યોગ્ય અંતરે મધમાખીઓ મૂકતા મધમાખીઓનું પ્રમાણ પણ વધ્યું છે.કુલ 35 વીઘા જમીનમાંથી 20 વીઘા જમીનમાં જામફળ અને બીજી જમીનમાં 350 નારિયેળ, 350 આંબા અને પંચસ્તરીય પાક જેમાં હળદર, મોસંબી, ચીકુ, લીંબુ, આંબા સહિત અનેક પાકો લેવામાં આવી રહ્યા છે. જેમાંથી દર વર્ષે તેઓ 30 લાખ કરતાં વધુની કમાણી કરી રહ્યા છે.

મગન ભાઈ ‘બ્રાન્ડ’ બની ગયા

આજે કરજણથી પાદરા અને કરજણથી ડભોઈના રસ્તાઓ પર બેસીને વેચતા લોકલ વેપારીઓ ‘મગન ભાઈની વાડીના જામફળ’ ના નામે વેચતા થયા છે. લોકો પણ ફ્રૂટ વેચનારને મગન ભાઈની વાડીના જામફળ છે એમ પૂછીને ખરીદતા થયા છે. તેમની વાડીના જામફળ અને કેરીના સ્વાદના કારણે આજે તે માત્ર ખેડૂત નહિ એક બ્રાન્ડ પણ બની ગયા છે.વધુમાં તેઓ જણાવે છે કે તેમને જામફળ બજારમાં વેચવા જવું નથી પડતું. વેપારીઓ તેમની વાડીએ થી જ જામફળ અને અન્ય ફળો જથ્થાબંધ ખરીદતા થયા છે. આ સાથે અનેક લોકો તેમની વાડી પાસેથી પસાર થતા જામફળ લઈ જતા હોય છે જેના કારણે મગનભાઈ ને બજાર સુધી જવાની જરૂર જ નથી પડી અને બજાર તેમની વાડી સુધી આવી પહોંચ્યું છે.

નવતર પ્રયોગ ખર્ચાળ ખેતીથી મુક્તિનો માર્ગ

વેલ્યુ એડીશનના ભાગ રૂપે ઋતુમાં વધારે કેરી અને ચીકુ એક સાથે પાકી જતાં ફ્રીઝ ડ્રાયિંગ કરવામાં આવી રહ્યું જે દેશ વિદેશમાં અનેક લોકોની પસંદગીની વસ્તુ બની છે.આ સાથે કેરીની મીઠાશ અને ગુણવત્તાના કારણે તેમણે ફ્રોઝન કરેલી કેરીનો સ્વાદિષ્ટ રસ આખું વર્ષ લોકોને ખાવા મળી રહ્યો છે.આમ મગનભાઈ માત્ર ખેડૂત જ નહીં,પરંતુ પ્રકૃતિના સંવર્ધન માટે, પ્રાકૃતિક ખેતીના નવતર પ્રયોગ, વેચાણ, બ્રાન્ડ અને ફૂડ પ્રોસેસિંગમાં પણ આગળ વધી રહ્યા છે.

BY DIPAK KATIYA ON JANUARY 2, 2025

error: Content is protected !!